‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી’ –યાસીન દલાલ

આપણે સતત, રાત–દીવસ, ઉઠતાં બેસતાં, સંસ્કૃતીનાં ગુણગાન ગાતાં રહીએ છીએ, આપણી કહેવાતી સીદ્ધીઓ વીશે વારંવાર આપણે આપણી પીઠ થાબડીએ છીએ અને આપણી જાતને પ્રમાણપત્ર આપતા રહીએ છીએ. પશ્ચીમી સંસ્કૃતી પતીત છે ત્યાં નૈતીક મુલ્યો નથી, આધ્યાત્મીક સુખ નથી, મનની શાન્તી નથી અને આપણે ત્યાં ધર્મ છે, આધ્યાત્મીકતા છે, મનની શાંતી છે, એવી ‘થીયરી‘નો પ્રચાર આપણે ઢોલ વગાડીને વર્ષોથી કરતા આવ્યા છીએ. આપણા ગામો અને શહેરોમાં સતત નવાં નવાં મન્દીરો, દેરાસરો ઉભાં થતાં રહે છે, એના ઉદ્ધાટન સમારંભો યોજાય છે એના ઉપર વીમાનોમાંથી પુષ્પવૃષ્ટી કરવામાં આવે છે. ધાર્મીક શોભાયાત્રાઓ અને શતાબ્દીઓ અને દ્વીશતાબ્દીઓ પાછળ પણ અઢળક ધન ખર્ચાય છે અને હવે તો સરકાર પણ એમાં જાહેર તન્ત્ર અને સગવડો આપે છે.

આવી ધાર્મીકતાના જાહેર પ્રદર્શનના પડદા પાછળ આપણે ત્યાં કેવો અધર્મ સતત, બીનરોકટોક, બેશરમ રીતે ચાલે છે ? કુરીવાજો ક્રુરતા, બર્બરતાને ધર્મના નામે આપણે રક્ષણ આપીએ છીએ. દરેક પ્રકારની કુરુઢીને પરમ્પરા અને ધર્મના આદેશનું કવચ ઓઢાડી દઈએ છીએ. કોઈ સ્ત્રીના પતીના મૃત્યુ સાથે ધાર્મીક આસ્થાને જોડી દેવાય એટલે પત્યું ! કોઈ સ્ત્રીને એનો પતી ત્યજી દે છતાં એને ભરણપોષણ મળતું હોય તે અમાનવીય રીતે બંધ કરી દેવામાં આવે અને એથી પાછળ ધર્મના આદેશનું બહાનું ધરવામાં આવે. ધર્મને નામે જાહેર જમીન મીલકતો ઉપર પેશકદમી કરવાની છુટ. ધર્મના નામે રસ્તાની વચ્ચે બધાને નડે એ રીતે કોઈ ધર્મસ્થાન ઉભું કરી શકાય. ધાર્મીક પર્વોની ઉજવણીના નામે ઘોંઘાટ અને કોલાહલ સર્જી શકાય. ઉત્સવોને નીમીત્ત બનાવીને અમુલ્ય લાકડું અને બળતણનો વ્યય કરી શકાય. આખા રસ્તાઓ બંધ કરી શકાય. એક ધર્મસ્થાનમાં એક મોટા વાસણમાં પકવેલું ભોજન ખાવા લોકો એ વાસણમાં આખા અન્દર ઉતરી જાય છે !

આપણે માણસ સીવાય દરેક પ્રાણીને પુજીએ છીએ. પથ્થરને પણ પુજીએ છીએ. એક પશુની હત્યા થાય એટલે ગામ આખામાં તંગદીલી ફેલાય એને પગલે જે તોફાનો ફાટી નીકળે એમાં થોડા માણસો મરે ત્યારે એ તંગદીલી હળવી થાય ! ધર્મ પ્રગટ્યો ત્યારે એક વીધાયક ઘટના તરીકે પ્રગટ્યો હતો. આજના વીશ્વમાં ધર્મ જેવી નકારાત્મક ઘટના કોઈ નથી. ધર્મે માણસમાં રહેલા એના પોતીકા વ્યક્તીત્વને મારી નાખ્યો. એના સ્વત્વને હણી લીધું. એની ખુદ્દારી અને ખુમારીને ખતમ કરી નાખી. કદાચ એટલે જ ગાલીબે કહ્યું હતું, ‘બંદગી મેં મેરા ભલા ન હુઆ.‘

આપણે આપણા પડોશીના ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં એનો ધર્મ, જ્ઞાતી, પ્રદેશ, બધું બરાબર જાણી લઈએ છીએ. એના ઘરનું પાણી પીવાય એમ છે કે નહીં, એને ધર્મની સરાણ ઉપર ચડાવીને નક્કી કરી લઈએ છીએ. આવા પરીચય, આવા મીલનમાં માત્ર ઔપચારીકતા અને દમ્ભ સીવાય કશું હોતું નથી. ધર્મ માણસને જોડે કે જુદા પાડે ? ધર્મ માણસને એના પછાતપણા અને પ્રાકૃતપણાની કેદમાંથી બહાર આવવા દેતો નથી.

જે દેશમાં દરરોજ ક્યાંક ને ક્યાંક ધર્મને નામે બે પાંચ માણસોને મારી નાખવામાં આવે, એ દેશને ધાર્મીક કહેવડાવાનો અધીકાર ખરો ? જે દેશમાં દરરોજ કોઈને કોઈ ખુણે પોલીસ ગોળીબારમાં બે–પાંચ માણસો મરી જતા હોય એ પ્રજાને પોતાને શાન્તીપ્રીય તરીકે ઓળખાવવાનો અધીકાર ખરો ? આપણી કહેવાતી આધ્યાત્મીકતા તો હવે મશ્કરીનો વીષય બની ગઈ છે. ભારતના લોકો લાખોની સંખ્યામાં અમેરીકા અને અખાતના દેશોમાં જાય એને ભુલાવી દઈને ત્યાંથી બે–પાંચ માથા ફરેલા લોકો આપણા દેશમાં આવીને કોઈ ધર્મગુરુના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મીકતાનો ગર્વ લેવા માંડીએ છીએ ! પણ એ ધર્મગુરુ પોતે એરકન્ડીશન મશીન, રેફ્રીજરેટર અને ટેલીવીઝનની સંસ્કૃતીમાં રાચતા હોય છે ! એમને ધર્મનો પ્રચાર કરવા માટે પશ્ચીમનાં બધાં ભૌતીક સાધનસગવડોની ગરજ રહે છે ! વીડીયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલું તકલાદી ગણાય !

દરેક ચીજનો વેપાર કરનાર આપણી પ્રજાએ ધર્મને પણ નથી છોડયો. મન્દીરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના પણ જુદા જુદા ભાવ નક્કી કરીને એનું પાટીયું મારવામાં આવે છે ! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા ! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખરચીને વધુ પુણ્ય ખરીદે. આજના ધાર્મીકસ્થાનો પણ મોટાં સ્થાપીત હીતો બની ગયાં છે. એમની આવક અને મીલકત ઉપરથી એમની મહત્તા નક્કી થાય છે. માણસ માણસ વચ્ચે ધર્મની દીવાલ આવીને ઉભી રહી ગઈ છે. ધર્મનાં સ્થાનો ઉપર અધર્મીઓએ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મ ઉપદેશકો પણ જનસમ્પર્ક અને પ્રચારના આધુનીક કીમીયા અજમાવે છે અને ધર્મસ્થાનોને ફીલ્મી મનોરંજનની કક્ષાએ લઈ જઈને લોકરંજન કરે છે. આવી કથાઓ સાંભળવા જવું એ ફેશન બન્યું છે. બધા પયગમ્બરો આજના ધર્મની અવદશા જોઈ શકત તો એકસામટા પોતાના ધર્મગ્રન્થોને પાછા ખેંચી લેત. ‘આપણાં દુઃખ–દર્દોનું ઓસડ ધર્મના એજન્ટો પાસે નથી’; એ સત્ય આપણને ક્યારે સમજાશે ?

જો ધર્મસ્થાનો, પુજાપાઠ અને હોમહવનોથી કલ્યાણ થતું હોય તો આપણા દેશમાં તો સ્વર્ગ ઉતર્યું હોત. સેંકડો સમ્પ્રદાયો અને પંથોવાળા દેશમાં શેરીએ શેરીએ ધર્મગુરુઓ, સાધુઓ, ફકીરો જોવા મળે છે. ડગલે ને પગલે મન્દીર, મસ્જીદ જોવા મળે છે. નીતનવા સ્થળોએ ધુન–ભજનો થાય છે, કથા થાય છે. દરેક નવું કામ ધાર્મીક વીધીથી થાય છે. ભુમીપુજનની સાથે આપણે ચોપડાનું પણ પુજન કરીએ છીએ ! આવા દેશમાં ગરીબી અને ભુખમરો શા માટે હોય ? આવા દેશમાં શા માટે વરસાદ જ ન પડે ? શા માટે કુદરત આપણા ઉપર જ રુઠે ? આવા સામાન્ય સવાલો આપણે આપણી જાતને પુછતા નથી અને જેમ હતાશ થઈએ તેમ વધુ ને વધુ ધાર્મીક ક્રીયાકાંડોને શરણે જઈએ છીએ. મોરબીનાં બધાં ઘરોમાં પ્રવેશતાં પહેલાં લોકોએ ભુમીપુજન કર્યું હતું અને ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ એ દીવસે દોઢસો લગ્નનું મુહુર્ત નક્કી થયું હતું ! જન્મકુંડળી મેળવીને થતાં લગ્નો પણ છ માસમાં તુટી જાય છે !

સ્વતંત્ર વીચારશક્તી અને વીવેકબુદ્ધી એ મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ છે; પણ આપણે સ્વેચ્છાએ આપણી વીવેકબુદ્ધી અને વ્યક્તીતાને ધર્મને ચરણે ધરી દઈએ છીએ. ગેલેલીયો અને કોપરનીક્સે પોતાની વીવેકબુદ્ધી અધર્મને ચરણે ધરી દીધી નહોતી. એમ હોત તો ઔદ્યોગીક ક્રાન્તીનો પાયો જ ન મંડાત અને આપણે કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યા ન હોત. ધર્મ કશુંક પ્રાપ્ત કરવાનું સાધન કે માધ્યમ બની શકે; પણ એ સાધ્ય કદી બની શકે નહીં.

રામજન્મભુમી અને બાબરી મસ્જીદની ચીન્તા અયોધ્યાવાસીઓને નથી એટલી બહારના લોકોને છે ! જ્યારે આ પ્રશ્ને કેટલાંક શહેરોમાં ‘ધર્મયુદ્ધ‘ ખેલાઈ રહ્યું હતું ત્યારે અયોધ્યામાં સમ્પુર્ણ શાન્તી પ્રવર્તતી હતી ! મસ્જીદ અને મન્દીરમાં એકસરખો પથ્થર, સીમેન્ટ અને પાણી વપરાય છે… પણ ધર્મના ટેકેદારો જ તે દહાડે મુસ્લીમ પથ્થર અને હીન્દુ પથ્થરનું નીર્માણ કરશે ! ડૉક્ટરને ત્યાં આવતા દર્દીઓમાં મુસ્લીમ કેન્સર અને હીન્દુ કેન્સરનું વર્ગીકરણ હોતું નથી ! છતાં, આપણે ‘પારસી મરણ‘ અને ‘હીંદુ મરણ‘ જેવા લેબલ વડે મરણને પણ ધર્મયુદ્ધ બનાવ્યું છે !

દુષ્કાળગ્રસ્ત દેશમાં 21 લાખ રુપીયાની રકમ હોમહવનમાં વાપરી શકાય છે અને વડાપ્રધાન જેવી વ્યક્તી પણ એનો આશ્રય લઈ શકે છે ! સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કદાચ આવા યજ્ઞો કઈ જગ્યાએ કરવા અને ક્યારે કરવા જોઈએ એ જાણવા માટે થશે. ધર્મનું વીજ્ઞાન અને યજ્ઞની ટૅકનોલૉજી ! આપણે દુનીયાને ઘણું નવું આપી શકીએ તેમ છીએ.

દુનીયાના બે ધાર્મીક દેશો ધર્મના રક્ષણ માટે દસેક વર્ષથી લડાઈ ખેલી ચુક્યા છે અને લાખો નીર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યા છે. કરસનદાસ મુળજીએ એકવાર ધર્મને નામે સ્ત્રીના શીયળ ઉપર થતું આક્રમણ રોકવા માટે જેહાદ જગાવવી પડી હતી. પોતાના દમ્ભને ન્યાયી ઠેરવવા માટે ધર્માચાર્યોએ ખોટા શ્લોકો ઘડી કાઢ્યા હતા !

લોકો આવકવેરામાંથી મુક્તી મેળવવા માટે ધર્મસ્થાનોને દાન આપે છે. પૈસા આપીને પુણ્ય ખરીદીએ એની પાકી પહોંચ મળે છે. ધર્મ ગમે તેવું શક્તીશાળી દુરબીન બનાવે તો પણ; એમાં સ્વર્ગ અને નરક દેખાવાનાં નથી એને માટે તો પરીકથાઓ અને દન્તકથાઓનો જ આશરો લેવો પડે. રોજના નીત્યક્રમમાં ઘડીયાળના કાંટાની સાથે આપણે ત્યાં ધર્મના ક્રીયાકાંડોનું પણ સાયુજ્ય રહ્યું છે. આટલાથી આટલા વાગ્યે પુજા કરવાની, બરાબર આટલા વાગ્યે આરતી ઉતારવાની. ધર્મ અને આધ્યાત્મીકતા એ સમયના ચોકઠામાં ગોઠવવાની વસ્તુ છે ? એને મનુષ્યનાં મન અને મગજની સ્થીતી સાથે કોઈ સમ્બન્ધ નથી ? એ ઓફીસમાં હાજરી આપવા અને સીનેમાનો શૉ શરુ કરવા જેટલી કૃત્રીમ ચીજ છે ?

ધર્મને નામે આપણે કેટલી મોટી માત્રામાં અધર્મ આચરીએ છીએ ? બધાં પાપ ધર્મની શેતરંજની હેઠળ છુપાઈને પડ્યાં છે. આપણી શેતરંજી ઉપરથી બરોબર સાફ–સુથરી અને ચળકાટવાળી રહે એની આપણને સતત ચીન્તા છે. ધર્મના આવા વરવા અસ્તીત્વ છતાં સમાજ ટકી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. જુના મળને સાફ કરવા માટે આંતરડાં સંપુર્ણ સાફ કરવાં પડે છે. બૌદ્ધીકતા રુપી એનીમા લઈશું તો વૈચારીક સડો દુર કરી શકીશું.

–યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 27 ડીસેમ્બર, 2014ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને‘ગુજરાત સમાચાર’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :

ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327 ઈ.મેઈલ :yasindalal@gmail.com

REPOSTED from “અભીવ્યક્તી” with thanks.

1 thoughts on “‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી’ –યાસીન દલાલ

  1. વહાલા વલીભાઈ,
    જનાબ યાસીન દલાલનો લેખ ‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી’ ને આપના બ્લોગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો.મારુ..

    Like

Leave a comment